રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનના ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત તાપી જીલ્લાના ઉચ્છલ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં નિઝર વિધાનસભાના ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાના અધ્યક્ષસ્થાને ઉચ્છલ ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી.લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી આયોજીત આ રેલીમાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના લોકોને વંદે માતરમ, ભારત માતાકી જયના નારાઓ સાથે હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે ઉચ્છલ ખાતે ભવ્ય તિરંગા યાત્રા રાષ્ટ્રધ્વજ સાથે નીકળી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી જયરામભાઇ ગામીત, માજી જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા, પોલીસ જવાનો,ઉચ્છલ તાલુકા પંચાયતના સભ્યઓ, તલાટી કમ મંત્રીઓ, હોદ્દેદારો, આગેવાનો, તાલુકા પંચાયતના અધિકારી-કર્મચારીઓ,શાળા-કોલેજના વિધાર્થીઓ સહિત હાથમાં તિરંગા સાથે ઉચ્છલ અને આજુ બાજુના ગામના નાગરિકો જોડાયા હતા.
આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા તેમજ લોકોમાં દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનો પણ સહભાગી થાય હતા. મુખ્યમાર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો તથા હોમગાર્ડ જવાનો સહિત રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ઉચ્ચારેલા દેશભક્તિના નારાઓથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા.