અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામત મામલે મોદી સરકારે ક્રીમી લેયર પર સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શુક્રવારે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. બેઠક બાદ સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ જે અનામત છે એ જ રીતે લાગુ રહેશે. SC/STમાં અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટે અનામતમાં ક્રીમી લેયરની સલાહ આપી હતી
નોંધનીય છે એ ગત સપ્તાહમાં દેશની સુપ્રીમ કોર્ટે અનામત પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અનામતનમાં પેટા કેટેગરી બનાવવા માટે રાજ્યોને છૂટ આપી હતી. સાથે સાથે SC-STના અનામતમાં ક્રીમી લેયર રાખવાની ભલામણ કરી હતી.
મોદી સરકારની સ્પષ્ટતા
એવામાં આજે કેન્દ્રીય કેબિનેટ બેઠક બાદ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું, કે ' સુપ્રીમ કોર્ટે અનામતને લઈને સલાહ આપી છે જેમાં SC ST વર્ગ માટે ભલામણો કરવામાં આવી છે. આ મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી. NDA સરકાર બાબા સાહેબ આંબેડકરે બનાવેલ બંધારણ પ્રત્યે કટિબદ્ધ છે. બંધારણમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ નથી. બાબા સાહેબ આંબેડકરે આપેલ બંધારણ અનુસાર જ SC-STમાં અનામત લાગુ રહેશે.'
સાંસદો મોદીને મળવા ગયા હતા
સુપ્રીમ કોર્ટે અનામતમાં પણ અનામત અંગેનો એક આદેશ આપતાં હવે દેશભરના નેતાઓ દોડતાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વૉટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. હવે આ સૌની વચ્ચે એસસી/એસટી સમુદાયના લોકસભા તથા રાજ્યસભાના સાંસદોનું ટેન્શન વધી ગયું હતું અને તેઓ સંસદ ભવનમાં જ પીએમ મોદીને મળવા પહોંચી ગયા હતા.આ તમામ સાંસદોએ સંયુક્તરૂપે એસસી/એસટી માટે ક્રીમીલેયર અંગે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી મામલે એક આવેદન સોંપ્યું હતું અને સાથે જ માગ કરી હતી કે આ ચુકાદો અમારા સમાજમાં લાગુ ન કરવો જોઈએ.
એનડીએના સહયોગીઓએ પણ વિરોધ કર્યો
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે એનડીએના સાથી લોજપા(રામવિલાસ) નેતા ચિરાગ પાસવાન અને રામદાસ અઠાવલેએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. ચિરાગ પાસવાને આ મામલે કહ્યું હતું કે અમારી લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) આ ચુકાદા સામે અપીલ કરશે.