દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા શુક્રવારે (09 ઓગસ્ટ) 17 મહિના બાદ જેલમાંથી છૂટયાં હતા. ત્યારે આજે (10 ઓગસ્ટ) તેમણે આમ આદમી પાર્ટી (AAP) કાર્યાલયમાં કાર્યકર્તા સંબોધિત કર્યા હતા. આ દરમિયાન સિસોદિયાએ ભાજપ સામે આકરા પ્રહાર કરતા કહ્યું કે 'દુનિયાની તમામ તાકાત એકજૂટ થાય તો પણ સત્યને હરાવી શકે નહીં.'
દિલ્હીમાં શાનદાર સ્કૂલ બનાવવી છે
આ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી સીએમએ કહ્યું કે 'બજરંગબલીની કૃપા છેકે 17 મહિના બાદ હું જેલમાંથી મૂક્ત થયો. સફળતાનો એક જ મંત્ર છે. દિલ્હીમાં દરેક બાળક માટે એક શાનદાર સ્કૂલ બનાવવી છે. અમે તો રથના ઘોડા છીએ. આપણા અસલી સારથી જેલમાં છે અને તે પણ બહાર આવી જશે.' ત્યારબાદ મનીષ સિસોદિયાએ નારો ઉચ્ચાર્યો કે 'જેલના તાળા તૂટશે, અરવિંદ કેજરીવાલ છૂટશે.'
ભાજપ પર આકરા પ્રહાર કર્યા
આ સિવાય મનીષ સિસોદિયાએ કહ્યું કે ED અને CBIની દ્વારા ડરાવવાનો પ્રયાસ એટલે કરવામાં આવ્યો હતો, કારણ કે આખા દેશમાં કેજરીવાલનું નામ ઈમાનદારીના પ્રતિક તરીકે પ્રસિદ્ધ થઈ ગયું છે.' આગળ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે 'ભાજપ, જે પોતાને દુનિયાની સૌથી મોટી પાર્ટી કહે છે, તે સાબિત કરી શકી નથી કે તેના કોઈપણ રાજ્યમાં ઈમાનદારીનું કામ થઈ રહ્યું છે.'