સુરતના ઉન વિસ્તારમાંથી ગાયો કાપવાના આખા કારોબારનો પર્દાફાશ થયો છે. ઉન વિસ્તારના ખાડી કિનારે ગાયો સહિતના પશુઓ કાપવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતાં 300 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. જેની ઓળખ ઝુબેર રહીમુદ્દીન શેખ, ઈમરાન ઈસ્માઈલ કુરેશી, મુસ્તાક ઉર્ફે રિયાઝ ઉર્ફે ચીકુ મુનાફ શેખ, રાજુ રાઠોડ અને સમીર નૂરખાન તરીકે થઈ છે. જ્યારે નઇમ સલીમ કુરેશી ઘટનાસ્થળેથી ભાગી જતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સુરતના ઉન વિસ્તારમાં ગુલઝાર વીલા, નવી બાંધકામવાળી જગ્યા પાછળ ખાડી કિનારે ગાય કપાઈ રહી હોવાની અને પશુઓને વાહનમાંથી ખાલી કરાતા હોવાની બાતમી તેમને મળી હતી. ત્યારબાદ ભેસ્તાન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દરોડો પાડીને તપાસ કરતાં ઘટનાસ્થળ પરથી 300 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ જગ્યાની બાજુમાં પતરાના શેડમાં પશુઓ બાંધેલા હતા. પોલીસે બાંધેલી 3 ગાયો, 2 ભેંસ અને 4 નાના પાડાને મુક્ત કરાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે એક ટેમ્પો, કુહાડી, છરા, 2 બાઇક અને મોપેડ સહિત 3.06 લાખનો સામાન કબજે કર્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ભેસ્તાન પોલીસે ઝુબેર, ઈમરાન, મુસ્તાક, સમીર અને રાજુની ધરપકડ કરી છે. જ્યારે નઇમ કુરેશી નામનો આરોપી ઘટનાસ્થળ પરથી ભાગી છૂટયો હતો. તેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી છે. તેને પણ ટૂંક સમયમાં શોધીને ઝડપી પાડવામાં આવશે. આરોપી ઝુબેર કતલખાનાની દેખરેખ રાખતો હતો અને ત્યાં જ છૂટક કામ કરતો હતો. આરોપી ઝુબેરે પોલીસને જણાવ્યું હતું કે, તે પોતે ખેતીવાડી કરે છે અને શેડમાં બાંધેલા પશુઓ પણ તેના હતા. તેણે કહ્યું કે, જીવિત પશુઓમાં રહેલી એક ગાય તેણે ઈમરાન કુરેશી અને મુસ્તાક શેખને વેચી હતી. આ સાથે તેણે ગુનો પણ કબૂલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, નઇમ સલીમ અને સમીર નૂરખાન સાથે તેઓ ગાય કાપતા હતા.